આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ


જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને મળતા રક્તદાનનો સંતોષ રક્તદાતા માટે આશીર્વાદ સમાન છે
રક્તદાન કરી અકસ્માત કે બિમારીમાં સંડોવાયેલા કોઇના માડીજાયા કે પ્રીયતમના નવ જીવનના સાક્ષી બનીયે- મેડીકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ડૉ.આશિષ કટારકર

છેલ્લા ત્રણ વર્ષમાં દાનમાં મળેલ ૧૨ હજાર યુનિટથી વધુ રક્ત હિંમતનગર સિવિલ મારફતે દર્દીઓના અંગે અંગોમાં વહી રહ્યુ છે.કોઇનો દિકરો કે સબંધી પોતાના પરીવારના ખુશીઓના પ્રસંગમાં શામેલ થવા માટે કે કોઇ કાર્ય માટે બજારમાં જાય અને ઘરે પરત દિકરો કે સબંધી નહિં પણ એની ડેડ બોડી આવે ત્યારે ખુશ ખુશાલીના માહોલમાં પરીવારની આંખમાં આંસુ અને હૈયાફાટ રૂદન સાથે જાણવા મળે કે જરૂરીયાતના સમયે લોહી ન મળવાના કારણે મોતે ઘર માંડ્યુ છે ત્યારે બેબસ અને લાચાર પરીવારના હાથમાં અફસોસ સિવાય કંઇ જ નથી રહેતુ. સમાજમાં બનતા આવા અનેક કિસ્સાઓ લોકોને રક્તદાનની મહત્વતા સમજાવી જાય છે.

વર્તમાન સમયમાં જ્યાં વિજ્ઞાન અને પરીવહન આસમાને પહોંચ્યુ છે ત્યારે ગંભીર બિમારીઓ અને અકસ્માતના આંકડાઓએ પણ માઝા મુકી છે. આવા સમયમાં લોકોનું સ્વાસ્થ જળવાય તેમજ જરૂરીયાતમંદ દર્દીને સમય સર રક્ત મળી રહે તો માનવ કલ્યાણનું કાર્ય થઈ શકે છે.

માનવ જીવનનું કલ્યાણ કરતી સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ ખાતે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૨ હજાર થી વધુ યુનિટ રક્ત એકઠુ કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૨૩માં ૩૯૪૭ યુનિટ, વર્ષ ૨૦૨૪માં ૪૬૩૪ યુનિટ અને વર્ષ ૨૦૨૫ ની મે મહિનાની સ્થિતિએ 3530 યુનિટ બ્લડ એકત્રિત કરાયું છે.

સમાજમાં હજુ પણ રક્તદાન અંગેની જાગૃતતા ઓછી છે. વળી રક્તની જરૂરીયાત સામે ફક્ત રક્ત જ વિકલ્પ હોઈ તે અંગે જાગૃતતા આવે તે ખુબ જ જરૂરી છે. જેને લઈ સિવિલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 125 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે.

હિંમતનગર સિવીલના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આશિષ કટારકર જણાવે છે કે ૧૪ જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ કેળવાય તેમજ જરૂરીયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે છે. ઘણી વખતે દર્દીઓને રક્તની જરૂરીયાત સામે રક્ત મળતા અનુભવાતો સંતોષ રક્તદાતા માટે આશીર્વાદ સમાન બની જતો હોય છે.આપણે સૌ રક્તદાનની મહત્વતા સમજી રક્તદાન કરીને જરૂરીયાતમંદ દર્દીને મળતા નવ જીવનના સાક્ષી બનીયે.

રકતદાન અંગેની ખોટી માન્યતાઓમાં રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને તે લોહી પાછું મેળવવામાં મહિના લાગી જાય છે. નિયમિત લોહી આપવાથી લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી બને છે અને વ્યક્તિને બીમારીઓ જલ્દી જકડી લે છે. આવી ખોટી માન્યતાથી લોકોએ ગભરાવાની જરૂર નથી. આ સાથે જિલ્લાના સૌ લોકો રક્તદાન કરે તે માટે અપીલ કરી હતી.

પૃથ્વી ઉપર દરેક જીવોમાં મનુષ્ય જીવ અમૂલ્ય છે. કુદરતે આપેલા દરેક અંગો મહામૂલા છે. સૌ માનવી અંગદાન તેમજ રક્તદાન થકી એકબીજાની મદદ કરીને કુદરતે આપેલા દાનને દાન સ્વરૂપે પરત કરી કુદરતનું ઋણ અદા કરવું જોઇએ.

હિંમતનગર સિવિલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉ.સંજય ચૌહાણ જણાવે છે કે રક્તદાન થકી ઘણાં લોકોના જીવન બચાવી શકાય છે. સિવિલ ખાતે સગર્ભા માતા, લોહીની ઊણપ ધરાવતા દર્દીઓ, ઓપરેશન વારા દર્દીઓ, આઇ.સી.યુના દર્દી, ડાયાલીસીસ દર્દી, નવજાત શીશું, ટી.બીના દર્દીઓને રક્તદાન કરી જીવ બચાવવામાં આવ્યો છે.જેની વિસ્તારે વિગતો રજૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *